છેલ્લાં દસ વર્ષ દરમ્યાન ભારતમાં ભારે મોટા પ્રમાણમાં બેકારી રહી છે. ૨૦૧૪માં ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં દર વર્ષે બે કરોડ રોજગારી અર્થતંત્રમાં ઊભી કરવાનું વચન આપ્યું હતું. જો એ વાચન તેણે પાળ્યું હોત તો અત્યારે જે બેકારી છે તે હોત જ નહિ.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અને માનવ વિકાસ સંસ્થાનનો તાજેતરમાં જ પ્રકાશિત અહેવાલ કહે છે કે ભારતમાં દર ત્રણ બેકાર યુવાનોમાં એક તો સ્નાતક યુવાન છે, નિયમિત રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ ૨૦૧૯માં ૨૩ ટકા હતું અને તે ૨૦૨૨માં ઘટીને ૧૯ ટકા થયું.
અહેવાલ વધુમાં એમ કહે છે કે આદિવાસીઓમાં ૩૩.૪ ટકા, અનુસૂચિત જાતિઓમાં ૩૫ ટકા અને ઓબીસીમાં ૨૮.૭ ટકા સ્નાતક યુવાનો બેકાર છે.
CMIE કહે છે કે દેશમાં ફેબ્રુઆરી - ૨૦૨૪માં બેકારીનો દર ૮ ટકા છે, સરકારનો પોતાનો સર્વે કહે છે કે એપ્રિલ - સપ્ટેમ્બર, ૨૦૨૩માં ૧૫ વર્ષથી વધુ વયનાઓમાં બેકારીનું પ્રમાણ ૬.૬ ટકા છે.
દેશમાં દર વર્ષે આશરે બે કરોડ યુવાનો બજારમાં રોજગારી મેળવવા પ્રવેશે છે. એટલે બેકારોની ફોજ વધી જ રહી છે.
***
છેલ્લા એક વર્ષમાં જ ડુંગળીના ભાવ ૪૦ ટકા, ટામેટાંના ભાવ ૩૬ ટકા, બટાટાના ભાવ ૨૨ ટકા, ચોખાના ભાવ ૧૪ ટકા અને
કઠોળના ભાવ ૨૨ ટકા વધ્યા. તેને પરિણામે શાકાહારી ભોજનની ઘરમાં રંધાતી થાળી ૭ ટકા જેટલી મોંઘી થઈ છે.
ક્રિસિલ અને એમઆઈ એન્ડ એ રિસર્ચ દ્વારા માર્ચ-૨૦૨૩થી માર્ચ-૨૦૨૪ સુધીમાં થયેલા ભાવવધારા વિશેના સંશોધનનું આ તારણ છે.
ભારત સરકારની સંસ્થા NSOનો અહેવાલ એમ કહે છે કે ૨૦૨૨-૨૩માં ગ્રામ વિસ્તારોમાં લોકોના કુલ ખર્ચમાં ૪૬.૩૮ ટકા અને શહેરી વિસ્તારોમાં ૩૯.૧૭ ટકા ખર્ચ ખાધાખોરાકીનું હતું.
જેમના કુલ ખર્ચમાં ખોરાક પાછળનું ખર્ચ આટલું મોટું હોય તેમને જ ખાવાની ચીજોનો ભાવવધારો સૌથી વધુ નડે છે. એ લોકોની આવક એટલી ન વધે તો તેઓ કફોડી સ્થિતિમાં મૂકાય છે. ગરીબી દૂર થઈ હોવાના સરકારી દાવા ફુગાવાના આ ખરા દરથી લગભગ ખોટા પડે છે.
टिप्पणियाँ