હમણાં FB પર એક સમાચાર વાંચ્યા. તે મુજબ એક ટીવી ચેનલના સુરતના એક પત્રકારની નિમણૂક પોલિસ સલાહકાર સમિતિમાં કરવામાં આવી છે.
હવે એક સવાલ:
શું કોઈ પણ વિષયની કોઈ પણ સરકારી કે અર્ધસરકારી સમિતિમાં કે પંચમાં પત્રકારે સભ્યપદ મેળવવું જોઈએ કે નહિ?
પત્રકારોનું વેતન કે પત્રકારોની કાર્યશરતો સાથે સીધી રીતે સંબંધિત બાબતો અંગેની કોઈક સમિતિમાં કે પંચમાં સરકાર પત્રકારોની નિમણૂક કરે તો તે યોગ્ય જ કહેવાય.
પરંતુ તે સિવાયની કોઈક સમિતિ કે પંચમાં કોઈ અખબાર, ટીવી ચેનલ, વેબ પોર્ટલ, યુટ્યુબ સમાચાર ચેનલમાં પત્રકારની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવે તો તે પત્રકારે સ્વીકારવી જોઈએ ખરી?
સરકારી સમિતિ કે પંચ વગેરેમાં નિમણૂક મળ્યા પછી પત્રકાર તેની પોતાની પત્રકાર તરીકેની કામગીરીમાં સરકાર પ્રત્યે નરમ વલણ અપનાવે કે પછી તે સરકાર તરફી બની જાય એવી શક્યતાઓ ઊભી ન થાય?
અને જો એવું થાય તો પત્રકાર તટસ્થ રીતે નાગરિકો સમક્ષ સરકારી કામગીરીની હકીકતો રજૂ કરે એવી જે સામાન્ય અપેક્ષા હોય છે તે કેવી રીતે પૂરી થાય?
સરકારી સમિતિઓ કે પંચમાં સભ્ય બનો એટલે સરકાર તેનાં ધારાધોરણ અનુસાર જે કંઈ લાભ આપે તે પણ પત્રકારને મળે. ગુજરાતીમાં કહેવત છે કે 'જેવું અન્ન તેવો ઓડકાર.'
કોઈ પણ પક્ષની કે નેતાની સરકાર હોય, એ પોતાની ટીકાથી ડરે છે. તેથી સરકારો આ રીતે પત્રકારોને વશમાં રાખવા માટે તેમને adopt કરે, એટલે કે આ રીતે દત્તક લે, એવું પણ બને.
વળી, એક પત્રકારની કોઈક સરકારી નિમણૂકથી અન્ય પત્રકારોમાં લાલચ જાગે એવું પણ બને. આવી નિદર્શન અસર (demonstration effect) થયા વિના રહે નહીં. ન્યાયમૂર્તિઓના કિસ્સામાં આવું બને છે એની આપણને સુપેરે ખબર છે. નોબેલ ઇનામ વિજેતા અર્થશાસ્ત્રી ફ્રેડરિક વોન હાયેક દ્વારા એમ કહેવાયું છે કે ડર અને લાલચમાંથી બહાર નીકળો તો જ સ્વતંત્રતા ટકે.
સરકારને, ખાસ કરીને હાલની સરકારને, એનો પોતાનો આયનો દેખાડવા માટે ભારે હિંમતની જરૂર છે ત્યારે આ સવાલ એમ જ ઊભો થાય છે. સરકાર ડર પણ દેખાડે, પત્રકારો પર જાતજાતના કેસ ઠોકીને, અને આવું ગાજર પણ પત્રકારો સમક્ષ લટકાવે. પત્રકારોએ જાતે નક્કી કરવાનું છે કે શું કરવું.
टिप्पणियाँ